Pages

Showing posts with label મન પરનું દ્રષ્ટાંત. Show all posts
Showing posts with label મન પરનું દ્રષ્ટાંત. Show all posts

મન પરનું દ્રષ્ટાંત

એક રાજા હતો તેની પાસે એક બકરો હતો.રાજાએ જાહેર કર્યું કે –
જે મારા બકરાને જંગલ માં જઈ પેટ ભરીને ચરાવી લાવે તેને હું અડધું રાજ્ય આપીશ.
જાહેરાત સાંભળતા જ એક માણસ રાજાની પાસે આવ્યો,કહ્યું કે આમાં તે શી મોટી વાત છે?
એમ કહી બકરાને જંગલમાં ચરાવવા લઇ ગયો,આખો દિવસ સરસ લીલુંછમ ઘાસ ખવડાવ્યું,
સાંજે તે રાજાની પાસે પાછો લાવ્યો.
બકરો ધરાયો છે કે નહિ તે જોવા રાજાએ થોડું લીલું ઘાસ બકરા સામે ધર્યું,અને બકરાએ જેવું લીલું ઘાસ જોયું કે-
તેમાં મોં નાખી ખાવા લાગ્યો.એટલે રાજાએ કહ્યું- કે –તેં એને ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે?
જો પેટ ભરેલું હોય તો તે અહીં ઘાસ ખાય જ નહિ,ભાગ અહીંથી.
બીજા ઘણાએ પ્રયત્ન કરી જોયાં પણ એવું જ બને કે જેવા તે ચરાવી ને લાવે અને રાજા ઘાસ ધરે,
એટલે બકરો ખાવા ધસે.બકરાની આદત હતી કે 'ઘાસ જોયું એટલે ખાવું'.

છેવટે એક બુદ્ધિશાળી મનુષ્યને લાગ્યું કે રાજાની આ જાહેરાત પાછળ જરૂર કંઈક રહસ્ય છે.
એટલે તેને યુક્તિથી કામ લેવાનો નિશ્ચય કર્યો.તે બકરાને વનમાં ચરાવવા લઇ ગયો અને જેવો
બકરો ઘાસમાં મોઢું નાખે અને ઘાસ ખાવા પ્રયત્ન કરે એટલે તેના મોં પર લાકડી ફટકારે.
દિવસના અંતે બકરાને ઠસી ગયું કે ઘાસમાં મોં નાખવાથી માર પડે છે એટલે ઘાસ ખાવું નહિ.
સાંજે તે મનુષ્ય બકરા ને લઇ રાજા પાસે આવ્યો.રાજાએ ઘાસ ધર્યું પણ આજે બકરો એ ઘાસ સામે
જોતો પણ નથી.એને બીક હતી કે ઘાસ ખાવા જઈશ તો મોં પર માર પડશે.

એ બકરો તે આપણું મન,બકરાને ઘાસ તરફ લઇ જનારો તે જીવાત્મા,રાજા એ પરમાત્મા.
મન રૂપી બકરો અહંતા-મમતાથી ભરેલો છે,અને સંસારના ભોગો (ઘાસ) તરફ દોડે છે,
અને એ ઘાસ તરફ (ભોગો તરફ) દોડે ત્યારે તે મનને વિવેક-રૂપી લાકડી ફટકારવાથી તે વશ થાય છે.

રામદાસ સ્વામી એ બોધ આપ્યો છે કે-દૃઢ વૈરાગ્ય,તીવ્ર ભક્તિ અને યમ-નિયમ વગેરેના અભ્યાસથી
મન સ્થિર થાય છે,અને સંસાર પર વૈરાગ્ય લાવવા માટે જન્મ,મૃત્યુ,જરા,વ્યાધિ –વગેરેનો વિચાર કરવો એ જ ઉપાય છે..
કપિલવસ્તુના રાજકુમારે જરા-મૃત્યુ નો વિચાર કર્યો તો એ બુદ્ધ ભગવાન રૂપે જગમાં અમર થઇ ગયો.

આ સંસારમાં બધું ચંચળ છે.ચિત્ત(મન) ચંચળ છે,તો વિત્ત (ધન)પણ ચંચળ છે.જીવન યૌવન પણ ચંચળ છે.
આખો સંસાર ચલાચલ છે.એમાં કોઈ આશાનું કિરણ હોય તો તે છે ધર્મ (સ્વ-ધર્મ,સત્ય,પરમાત્મા)
માટે જે મનુષ્ય પોતાને ડાહ્યો સમજતો હોય તેને ધર્મ (સત્ય) નો આશરો લેવો જોઈએ.
શાસ્ત્રો ઢોલ પીટીપીટી ને કહે છે કે-જીવન એવું જીવવું જોઈએ કે આ લોક અને પરલોક પણ સુધરી જાય.
દિવસે એવાં કાર્ય કરો કે રાતે નિરાંતથી ઊંઘ આવે,પૂર્વાવસ્થા એવી ગાળો કે ઉત્તરાવસ્થા
વલોપાત વગરની અને સુખ શાંતિથી વીતે.

વૃદ્ધાવસ્થા (જરા-અવસ્થા) માં આ શરીર ઘરડું બને છે પણ મન અને બુદ્ધિ તો યુવાન રહે છે.કે જે
યુવાની માં ભોગવેલા સુખ નું વારંવાર ચિંતન કરે છે.પ્રભુ નું સ્મરણ કિર્તન ના થાય તો વાંધો નહિ
પણ મન સંસારનું ચિંતન કરે છે સંસારના ભોગો તરફ દોડે તે યોગ્ય નથી.
અંતઃ કરણના પ્રકાર ચાર છે. મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર.
અંતઃકરણ જયારે
--સંકલ્પ-વિકલ્પ કરે ત્યારે તે મન કહેવાય છે.
--કોઈ વિષયનો નિર્ણય કરે ત્યારે તેને બુદ્ધિ કહેવાય છે
--પ્રભુનું ચિંતન કરે ત્યારે તેને ચિત્ત કહેવાય છે.
--ક્રિયાનું અભિમાન જાગે ત્યારે અહંકાર કહેવાય છે.